ભાવનગરના ચાર તાલુકામાં કપાસ નુકસાન માટે કૃષિ રાહત પેકેજ જાહેર, ઓનલાઈન અરજી શરૂ
ભાવનગર જિલ્લામાં ઓક્ટોબર 2024 દરમિયાન થયેલા અતિભારે અને અસામાન્ય વરસાદને કારણે કપાસના પાકને મોટા પાયે નુકસાન થતાં રાજ્ય સરકારે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ મહુવા, સિહોર, ઘોઘા અને ઉમરાળા તાલુકાના અસરગ્રસ્ત ગામોને “કૃષિ રાહત પેકેજ (કપાસ) ઓક્ટોબર-2024”માં સામેલ કરવામાં આવ્યા છે.
આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને મહત્તમ 2 હેક્ટર જમીન સુધી સહાય મળશે. દરેક ખાતામાં એક જ લાભાર્થીને લાભ આપવામાં આવશે. અરજી પ્રક્રિયા 2 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ છે અને ખેડૂતોને 15 દિવસ સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે ગ્રામ પંચાયત ખાતે VCE દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.
જરૂરી દસ્તાવેજો
7-12 અને 8-અ ની તાજી નકલ
જો 12માં કપાસ નોંધાયેલ ન હોય તો તલાટી પ્રમાણપત્ર
આધાર કાર્ડ
બેંક પાસબુક અથવા કેન્સલ ચેક (IFSC સાથે)
સંયુક્ત ખાતેદાર માટે સંમતિ પત્ર/કબૂલાતનામું
વારસદારો માટે પેઢીનામું (જરૂર પડે ત્યારે)
સરકારી, સહકારી અથવા ટ્રસ્ટની જમીન ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે નહીં. તેમજ એક આધાર નંબર પર માત્ર એક જ વખત સહાય આપવામાં આવશે. આ પેકેજ કપાસ ઉત્પાદક ખેડૂતોને નુકસાનમાંથી રાહત આપવાનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.